Uncategorized

આદિવાસી સમાજ માટે હોળી સૌથી મોટો ઉત્સવ: જીવનનું અભિન્ન અંગ એટલે ભંગુરીયા હાટનો મેળો; છોટાઉદેપુર અને MPમાં આ તહેવાર હોળીના એક સપ્તાહ અગાઉ યોજાય – InfowayTechnologies

છોટા ઉદેપુર23 મિનિટ પહેલા

છોટાઉદેપુર જિલ્લો એ પૂર્વપટ્ટીનો આદિવાસીબહુલ જિલ્લો છે. એક તરફ મહારાષ્ટ્ર અને બીજી તરફ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો છોટાઉદેપુર જિલ્લો આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતો સાચવીને બેઠો છે. અહીંના આદિવાસી સમાજની ઉત્સવપ્રિયતા જગજાહેર છે.

અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસી સમાજ માટે હોળી સૌથી મોટો ઉત્સવ છે. છોટાઉદેપુર જિલ્લામાં અને જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશમાં હોળીના એક સપ્તાહ અગાઉ ભરાતા ભોંગર્યા હાટમાં અહીંના આદિવાસી સમાજની વિશિષ્ટ સામાજીક અને સાંસ્કૃતિક વિરાસતના દર્શન થાય છે.

ભંગુરિયા હાટની શરૂઆત અંગે મતમતાંતર
ભંગુરીયા હાટની શરૂઆત કઇ રીતે થઇ એ અંગે જુદા જુદા મત મતાંતરો પ્રવર્તે છે, પરંતુ લોકમુખે ચર્ચાતી વાતો મુજબ મધ્યપ્રદેશમાં ભીલ રાજાની ભગોર નામની પ્રસિદ્ધ રિયાસત હતી. સૌપ્રથમ ભગોર રિયાસતના કુસુમોર ડામોર નામના ભીલ રાજાએ તેના રાજ્યમાં ભીલ સમુદાય માટે ભોંગર્યા હાટની શરૂઆત કરી હતી.

હોળી અગાઉ અઠવાડિયા પહેલાં ભોગર્યા હાટ યોજાય
સમયાંતરે હોળીના એક સપ્તાહ અગાઉ યોજાતા આ વિશિષ્ટ હાટને ભોંગર્યા હાટ તરીકે ઓળખવામાં આવે છે. આ ભગોર રિયાસત વર્તમાન સમયમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં એક નાનકડા ગામ ભગોરમાં તબદીલ થઇ ગઇ છે.

પૈસા-બજાર ન હોવાને કારણે ભોગર્યા હાટની શરૂઆત થઈ
જે તે સમયે આદિવાસી સમાજ પાસે ન હતા પૈસા કે ન હતા મોટા મોટા બજારો. રાજાએ પોતાના આદિવાસી સમુદાયને એક જગ્યાએ એકત્રિત કરી એક હાટની વ્યવસ્થા વિકસિત કરી જેથી આ હાટમાંથી આદિવાસી સમુદાય પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓનો વિનિમય કરી શકે. આ જ જગ્યાએ હોળીના ઉત્સવ નિમિત્તે આદિવાસી સમુદાય એકત્રિત થઇ પોતાની આવશ્યકતા અનુસારની સુખ સગવડતાની ચીજવસ્તુઓના આદાન પ્રદાન થકી પોતાની જરૂરિયાતોને પુરી કરતા હતા.

ભાગોળ રિયાસતથી પ્રેરાઈ ભોગર્યા હાટની શરૂઆત
ભગોર રિયાસતથી શરૂ થયેલા ભંગુરીયા હાટથી પ્રેરાઇને આસપાસના અન્ય ભીલ રાજાઓએ પણ પોત પોતાની રિયાસતમાં ભોંગર્યા હાટ શરૂ કર્યા હોવાનું મનાય છે.

અઠવાડિક હાટ જ હોળી પર્વ ભોગર્યા હાટમાં તબદીલ
છોટાઉદેપુર જિલ્લાનાં આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા પાણીબારવાળા જણાવે છે કે, ભંગુરીયાએ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળી અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાય છે, તેજ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે.

આદિવાસી વાજિંત્રોના તાલે નાચકૂદ કરી ઉજવણી કરાય છે
જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળીના તહેવાર માટેની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે. સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા ઢોલ અને કરતાલના તાલે નાચકૂદ કરીને હોળી પૂર્વેના ભોંગર્યા હાટની મોજ માણતા હોય છે.

યુવતીઓ પારંપરિક આભૂષણો પહેરે છે
ખાસ કરીને જુવાનિયાઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતીઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી, ચાંદીના કલ્લાં (કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન), ચાંદીની કિકરી, કહળો (કંદોરા) વગેરે આભૂષણોથી સજ્જ થઈને ભંગોરીયા હાટની મજા માણવા ઉમટી પડે છે.

એક જ ડિઝાઇનના કપડાં પહેરવા પાછળનો હેતુ ગામની એકતા
એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરાતો હોય છે. એક જ ડિઝાઇનર કે એક જ રંગના કપડાં પહેરવા માટેનો હેતુ એ પણ રહેલો છે કે, ભોંગર્યા હાટની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય..!

આદિવાસી બેનમૂન સંસ્કૃતિની ઝાંખી કરાવે છે
ભંગોરીયા હાટમાં આદિવાસીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં હોય છે, અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હોય છે.

નાચગાન, તીર કામઠા, ધારિયા, પાળીયા સાથે ઉજવણી
હાટમાં હોળીની ખરીદી ઉપરાંત મોટલા-ઢોલ અને વાંહળીઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકાંમઠા અને ધારીયાં-પાળીયાં સાથે ગામેગામથી ઉમટેલા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને એકમેક બની નાચગાન કરી ખુબ આનંદ લૂટતા હોય છે.

ગુજરાત-MP બે રાજ્યોના આદિવાસીઓની સંસ્કૃતિ એક સમાન
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયના આદિવાસીઓ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ ખાસ કરીને રાઠવા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે. જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકેની ઓળખ ધરાવે છે. આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયમાંથી આવતા હોય જેથી તેઓની સંસ્કૃતિ પરંપરાઓ રિત-રિવાજ અને રહેણી-કરણી, ભાષા, બોલી પણ સમાન જોવા મળે છે. છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસીઓનો રોટી-બેટીનો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button